IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફર પૂરી થઈ ગઈ છે. CSKને તેની છેલ્લી લીગ મેચમાં RCBના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં જીત સાથે RCB ટીમને પ્લેઓફમાં સ્થાન મળ્યું હતું.
CSKની મેચમાં હાર પછી, એમએસ ધોનીના સંન્યાસને લઈને ચર્ચાએ ખૂબ જ વેગ પકડ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે આ ધોનીની છેલ્લી IPL સિઝન છે, પરંતુ તે દરમિયાન, CSKના CEO કાશી વિશ્વનાથને ધોનીના ફ્યૂચર પ્લાનને લઇને નિવેદન આપ્યું હતું.
IPLની 17મી સીઝનની શરૂઆત પહેલા એમએસ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી હતી. તેમના સ્થાને ઋતુરાજ ગાયકવાડને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઋતુરાજની કપ્તાનીમાં CSKની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી.
આ દરમિયાન ધોનીની છેલ્લી IPL મેચને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવુક દેખાતા હતા. જો કે, માહીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ટ્વિટ કર્યું નથી, પરંતુ CSK એ તેની યુટ્યુબ ચેનલ પર CEO કાશી વિશ્વનાથનનો એક ઇન્ટરવ્યુ શેર કર્યો છે, જેમાં તે ધોનીની નિવૃત્તિ વિશે વાત કરી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, મને આ સવાલનો જવાબ ખબર નથી. આ સવાલનો જવાબ ફક્ત એમએસ ધોની જ આપી શકે છે. હું હંમેશા ધોની દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સન્માન કરું છું અને અમે બધું તેના પર છોડી દીધું છે. અમને હજી પણ ઉમ્મીદ છે કે તે આવતા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. આ ચાહકોની ઈચ્છા છે અને મારી પણ.